India AI Sector: ૨૦૨૭ સુધીમાં ભારતનું આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્ર અંદાજે દસ લાખ સ્કીલ્ડ વ્યવસાયીકોની અછતનો સામનો કરી શકે છે. દેશમાં એઆઈ વ્યવસાયીકોની વધી રહેલી માગને ધ્યાનમાં રાખી કર્મચારીબળને રિસ્કીલ કરવાની તાતી જરૂર હોવાનું એક રિપોર્ટમાં ભારપૂર્વક જણાવાયું છે.
એઆઈ ટેલેન્ટનું મથક બનવા ભારતમાં વિપુલ તક રહેલી છે. આમછતાં. ૨૦૨૭ સુધીમાં ટેલેન્ટની ઉપલબ્ધતાની સામે જોબ ઓપનિંગની માત્રા દોઢ ગણી હશે તેવો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
ભારતનું એઆઈ ક્ષેત્ર ૨૦૨૭ સુધીમાં ૨૩ લાખ જોબ ઓપનિંગ્સને પાર કરી જવાનો અંદાજ છે જ્યારે એઆઈ ટેલેન્ટ પુલ વધી ૧૨ લાખ પહોંચવા ધારણાં છે, આમ દસ લાખથી વધુ ટેક કર્મચારીઓને એઆઈની તાલીમની આવશ્યકતા રહે છે.
૨૦૧૯થી એઆઈ સંબંધિત રોજગારમાં વાર્ષિક ૨૧ ટકાનો જોરદાર વધારો થઈ રહ્યો છે જ્યારે એઆઈને લગતી કામગીરી માટેના વળતરમાં દર વર્ષે ૧૧ ટકા જેટલી વૃદ્ધિ જોવા મળી રહી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
માગમાં વધારો તથા આકર્ષક પગાર છતાં દેશમાં એઆઈ ક્ષેત્રના વ્યવસાયીકોની સંખ્યામાં જોઈએ તે પ્રમાણે વધારો જોવા મળતો નથી. આને કારણે ઉદ્યોગોમાં એઆઈના સ્વીકારમાં ધીમી ગતિનું જોખમ ઊભુ થયું છે.