Stamp Duty Act in Gujarat: રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી ઍક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે. સ્ટેમ્પ ડ્યુટી ઍક્ટની આ સુધારેલી જોગવાઈઓ રાજ્યમાં 10મી એપ્રિલ, 2025, ગુરુવારથી અમલી થશે.
રાજ્યના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ ડ્યુટી ઍક્ટની કરવામાં આવેલી જોગવાઈઓ અને સુધારા-વધારા
* વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતા હક્ક કમીના ડૉક્યુમેન્ટ રૂ.200ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે.
* રૂ.1 કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ.5,000/-ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે.
* રૂ.10 કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતાં ગીરોખત/હાઇપોથીકેશનના ડૉક્યુમેન્ટ ઉપર મહત્તમ રૂ.8,00,000/-ની ડ્યુટીની હાલની જોગવાઇમાં વધારો કરીને તે રૂ.15,00,000/- કરવામાં આવી છે. પરંતુ, એક કરતાં વધારે બૅંકો પાસેથી જ્યારે લોન લેવામાં આવતી હોય તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ રૂ.75,00,000/- સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.
* વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ.5,000/-ની ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે.
* ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી હોય તેવા કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવા આવે તો ડૉક્યુમેન્ટથી તારીખથી માસિક બે ટકાના દરે, પરંતુ મહત્તમ ખૂટતી ડ્યુટીની ચાર ગણી રકમ વસૂલ કરવામાં આવશે.
* તે જ રીતે, સ્ટેમ્પ ડ્યુટીની ચોરી જો તંત્ર દ્વારા પકડવામાં તો તેવા કિસ્સામાં માસિક 3 ટકાના દરે પરંતુ મહત્તમ 6 ગણી સુધી દંડની રકમ વસૂલ લેવાની જોગવાઈ કરવામાં આવી છે.
* એક વર્ષથી ઓછા સમયગાળાના ભાડા પટ્ટાના ડૉક્યુમેન્ટ ઉપર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના ૧%ની જગ્યાએ હવે રાજ્ય સરકારે રહેણાંક(રેસિડેન્સિયલ) માટે ફિક્સ રૂ.500/- અને વાણિજ્ય(કોમર્શિયલ) માટે રૂ.1000/-ની ડ્યુટી ભરપાઈ કરવાની જોગવાઇ કરી છે.
* ગીરોખતના કિસ્સામાં જો બેંકો/નાણાંકીય સંસ્થાઓ દ્વારા ડૉક્યુમેન્ટ કરી તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરાવવામાં નહિ આવે, તો તેવા કિસ્સામાં આવા ડૉક્યુમેન્ટ સંબંધે ડ્યુટી ભરપાઈ કરવાની જવાબદારી બેંકો/નાણાંકીય સંસ્થાઓની રહેશે.
* ઉપરાંત, અસલ લેખ(ઓરિજિનલ ડૉક્યુમેન્ટ)ની ગેરહાજરીમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરી હોય તેવા ડૉક્યુમેન્ટની નકલ ઉપર પણ ડ્યુટી વસૂલ કરી શકાશે તેવી જોગવાઈ પણ આ ઍક્ટમાં કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958ની જોગવાઈઓમાં કરાયેલા આ સુધારા ઉપરાંત અન્ય સુધારા-વધારા પણ કરવામાં આવ્યા છે. આ ડ્યુટીમાં સુધારા વધારા મૂળ ડ્યુટી માટે કરવામાં આવેલા છે. તેમાં કાયદાની જોગવાઈઓ મુજબ વધારાની ડ્યુટી (સરચાર્જ) પણ લેવાપાત્ર થશે. આ જોગવાઈઓથી ઉધોગકારો તેમજ હાઉસીંગ લોનધારકોને નાણાંકીય બોજમાં ઘટાડો થાય તેવો સરકારે પ્રયત્ન કર્યો છે.
વડીલોપાર્જિત મિલકતમાંથી હક્ક કમી કરવાના કિસ્સામાં ઉપસ્થિત થતાં અર્થઘટનના પ્રશ્નોના નિવારણ તથા કાયદાની જોગવાઇઓ સંબંધે ઉપસ્થિત થતાં કોર્ટ મેટર્સ-લીટીગેશન્સમાં ઘટાડો થાય તે માટે આ નવા સુધારા કરવામાં આવ્યાં છે.