Revenue Department News: ગુજરાત સરકારના અંધેર વહિવટ અને કાયદો વ્યવસ્થાની અંધેર નગરી જેવી સ્થિતિનો વધુએક કિસ્સો સામે આવ્યો છે. ડમી ખેડૂત બનવાના એક કેસમાં ડમી ખેડૂત સામે નહીં પણ જેની જમીન છે તેવા ખેડૂત સામે પગલાં લેવા આદેશ જારી કરાયા છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોડાસર ગામે વાસુદેવ નાથાલાલ શુક્લની જમીનમાં ગેરકાયદે ખેડૂત ખાતેદાર તરીકે ડિશમાન ફાર્માના માલિકે જન્મેજય રજનીકાન્ત વ્યાસે ધૂસ મારી તેની સરકારને જાણ કેમ ન કરી તેમ જણાવીને વાસુદેવા નાથાલાલ શુક્લની જમીન શ્રીસરકાર કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગણોતધારાની કલમ 63(1) અને તેની પેટા કલમોનો ભંગ થયો હોવાનું જણાવીને જમીન શ્રીસરકાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. મામલતદાર વી.જે. જિડે જમીન શ્રીસરકાર કરવા હુકમ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, 1990માં વાસુદેવ નાથાલાલ શુક્લ મૃત્યુ પામ્યા ત્યારબાદ તેમની વારસાઈ કરાવવા માટ તેમના ભાઈ ભગવત પ્રસાદ, અરુણ કુમાર અને કૃષ્ણકુમાર ગયા ત્યારે તેમને ખબર પડી કે તેમની જમીનમાં તો 1990 પહેલા જ ડિસમાન ફાર્માના માલિક જન્મેજય વ્યાસ ખેડૂત ખાતેદાર તરીકે ધૂસ મારી ચૂક્યા હતા. મોડાસરની બ્લોક નંબર 624ની 8094 મીટર જમીનમાં જન્મેજય વ્યાસનું નામ ચઢાવી દેવામાં આવ્યું હતું.
મહેસુલ પંચમાં કરવામાં આવેલી અરજીમાવ્દાવો કરાયો છે કે, જન્મેજય વ્યાસે તે સમયના તલાટીની મિલીભગતમાં આ કૌભાંડ આચર્યું હતું. જોકે હજી સુધી જન્મેજય વ્યાસ સામે કોઈ જ તપાસ કરવામાં આવી ન હોવાનું પણ ફરિયાદ પક્ષનું કહેવું છે. જન્મેજય વ્યાસ પાસે આજ સુધી પેઢી નામું પણ માગવામાં ન આવ્યું હોવાનું ફરિયાદીનું કહેવું છે.
જન્મેજયનું નામ ખાતેદારમાંથી કાઢતી વખતે ખેડૂતની બહેનનું નામ પણ કમી કરાયું
ત્યારબાદ 1996માં જન્મેજય રજનિકાન્ત વ્યાસે વાસુદેવા નાથાલાલ વ્યાસની જમીનમાાંથી ખેડૂત તરીકેનું પોતાનું નામ કઢાવી નાખ્યું હતું. તેમનું નામ કઢાવતી વખતે વાસુદેવ નાથાલાલ શુક્લના બહેન કુન્દનબહેનનું નામ પણ ભૂલમાં કઢાવી નાખ્યું હતું. વાસુદેવ શુક્લના ભાઈઓ અને વારસદારોને આ હકીકતની જાણ થતાં તેમણે મોડાસર ગામના તલાટી કમ મંત્રીને મળીને તેમની પાસેના તમામ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. તલાટીએ તેમનું નામ ખાતામાં ચઢાવી આપવાની ખાતરી પણ આપી હતી.
બીજી ફેબ્રુઆરી 1995ના વારસાઈ નોંધ નંબર 2907 પાડી હતી. પરંતુ તલાટી કમ મંત્રીએ વારસાઈ અંગેની તે નોંધ વાસુદેવ શુક્લના વારસદારોને આપી નહોતી. 1996માં તેમને નોંધ આપી ત્યારે તેમાં જન્જય રજનિકાન્ત વ્યાસ અને વાસુદેવ શુક્લની દીકરી તરીકે ભદ્રાનું નામ દાખલ કરવામાં આવ્યું હતું. આ તબક્કે વાસુદેવ શુક્લના વારસદારોએ કહ્યું હતું કે જન્મેજય વ્યાસ કે પછી ભદ્રાબેન સાથે તેમને કોઈ જ સંબંધ નથી. આ તબક્કે તલાટી કમ મંત્રીએ ભૂલથી આ નામ ખાતામા ચઢી ગયા હોવાનું સ્વીકારી જન્મેજય વ્યાસનું નામ કઢાવી આપવાની ખાતરી આપી હતી. આ મુદ્દે પોલીસ ફરિયાદ ન કરવા તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું.