CBI Raid on AAP Leader Durgesh Pathak Home: દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકના ઘરે CBIએ દરોડા પાડ્યા છે. આ દરોડા અંગે AAPએ આરોપ લગાવ્યો છે કે, દુર્ગેશ પાઠકને ગુજરાત ચૂંટણીની જવાબદારી સોંપાયા પછી તરત જ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ દાવો કર્યો છે.
CBIએ જણાવ્યું કારણ
આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકના ઘરે દરોડા વિશે જાણકારી આપતાં અધિકારીએ જણાવ્યું કે, દુર્ગેશ પાઠકના ઘરની તપાસ કરી રહી છે. તેમના ઘર પર ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેટરી એક્ટના એક મામલે દરોડા પાડવામાં આવ્યા છે.
AAP નેતાઓએ સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
ગુરૂવારે દિલ્હી સ્થિત આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્યના આવાસ પર CBI દરોડાનો દાવો કરતા આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા, જેસ્મિન શાહ સહિત અનેક નેતાઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી આ વિશે માહિતી આપી હતી.
મનીષ સિસોદિયાએ એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, 2027માં ગુજરાતમાં યોજવનારી વિધાનસભા ચૂંટણીની જવાબદારી મળતાની સાથે જ દુર્ગેશ પાઠકના ઘરે CBIના દરોડા પાડવામાં આવ્યા. આ કોઈ સંયોગ નથી પરંતુ, ભાજપનું કાવતરૂ છે. ભાજપ જાણે છે કે, ગુજરાતમાં હવે ફક્ત આમ આદમી પાર્ટી જ તેને ચેલેન્જ કરી શકે છે. આ હકીકતે ભાજપને હચમચાવી દીધી છે.
દુર્ગેશ પાઠકના ઘરે CBI દરોડાનો દાવો કરતા રાજ્યસભા સાંસદ સંજય સિંહે કહ્યું કે, ભાજપની ગંદી રમત શરૂ થઈ ગઈ છે. ગુજરાતના પ્રભારીના ઘરે CBI પહોંચી છે. મોદી સરકારે આમ આદમી પાર્ટીને ખતમ કરવાની તમામ યુક્તિ અજમાવી છે તેમ છતાં તેમને શાંતિ નથી મળી. ગુજરાતમાં ભાજપની સ્થિતિ કથળી રહી છે. આમ આદમી પાર્ટીએ જેવું દુર્ગેશ પાઠકને ગુજરાત ચૂંટણીના પ્રભારી બનાવ્યા તેમને ધમકાવવા માટે CBI મોકલી દેવામાં આવી.