Mark Zuckerberg: માર્ક ઝકરબર્ગ દ્વારા એક વખત ફેસબુકને ડિલીટ કરવાનો વિચાર આવ્યો હતો. ડિલીટ એટલે કે માત્ર પોતાની જ પ્રોફાઇલ નહીં, પરંતુ સંપૂર્ણ ફેસબુકને ડિલીટ કરવાનો વિચાર આવ્યો હતો. 2004માં ફેસબુક શરુ કરવામાં આવ્યું હતું અને એના 20 વર્ષ થવાના હતા ત્યારે ઝકરબર્ગને આ વિચાર આવ્યો હતો. ફેસબુકની હાલમાં અમેરિકામાં એન્ટી-ટ્રસ્ટ ટ્રાયલ ચાલી રહી છે અને એ દરમિયાન આ માહિતી બહાર આવી હતી. આ ટ્રાયલમાં માર્ક ઝકરબર્ગ પણ ટેસ્ટિફાઇ માટે આવ્યો હતો.
ફેસબુક ડિલીટ કરવું હતું ઝકરબર્ગને
માર્ક ઝકરબર્ગ દ્વારા ફેસબુકને ડિલીટ કરવાનો પ્લાન 2022માં રજૂ કરવામાં આવ્યો હતો. આ માટે તેણે ઇન્ટરનલ કંપનીમાં ઈમેલ કરીને પ્લાન જણાવ્યો હતો. માર્ક ઝકરબર્ગની ઇચ્છા હતી કે ફેસબુક પર તમામ યુઝર્સની પ્રોફાઇલને ડિલીટ કરીને તેઓ નવેસરથી ફ્રેન્ડ નેટવર્ક ઊભું કરે. જોકે એ સમયના ફેસબુકના હેડ ટોમ એલિસન દ્વારા આ આઇડિયાને નકારી કાઢવામાં આવ્યો હતો. તેમને એ વાતનો ડર હતો કે મેટા કંપનીના અન્ય પ્લેટફોર્મ પર પણ એની અસર થઈ શકે છે, ઉદાહરણ તરીકે ઇન્સ્ટાગ્રામ પર.
માર્ક ઝકરબર્ગે કોર્ટમાં શું કહ્યું?
માર્ક ઝકરબર્ગ કોર્ટમાં જ્યારે હાજર રહ્યો ત્યારે આ ઈમેલને રજૂ પણ કર્યો હતો. આ સાથે જ તેણે કહ્યું હતું કે ફેસબુક દ્વારા તેના આ આઇડિયાને નકારી કાઢવામાં આવ્યો હતો. જોકે માર્ક ઝકરબર્ગ દ્વારા એ વાતને સ્વીકારવામાં આવી હતી કે ફેસબુકનું મુખ્ય ધ્યેય લોકોને કનેક્ટ કરવાનું હતું, પરંતુ હવે એમાં બદલાવ આવ્યો છે અને હવે એમાં બિઝનેસ અને એન્ટરટેઇનમેન્ટ આવી ગયું છે. આથી યુઝર્સના ફેસબુકના ઉપયોગમાં પણ બદલાવ જોવા મળ્યો છે.
ફેસબુકમાં આવશે ફ્રેન્ડ્સ ટેબ
માર્ક ઝકરબર્ગ દ્વારા ફેસબુકના તમામ યુઝર્સની પ્રોફાઇલ ડિલીટ કરીને તેમને નવેસરથી ફ્રેન્ડ બનાવવા માટે અને નવી મેમરીઝ ક્રિએટ કરવા માટેનો પ્લાન હતો. આ પાછળનું કારણ એ હતું કે ફેસબુક પર હવે મિત્રો એકમેક સાથે કનેક્ટ થવાની જગ્યાએ એનો ઉપયોગ અલગ દિશામાં થઈ રહ્યો છે. આથી તેની આઇડિયાને તો ફગાવી દેવામાં આવી હતી, પરંતુ તેના વિચારને માન આપીને ફેસબુક હવે ફ્રેન્ડ્સ ટેબ લાવી રહ્યું છે. આ ટેબમાં ફક્ત ફ્રેન્ડ્સ દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટ જ દેખાશે. આથી દરેક યુઝરને તેમના ફ્રેન્ડ સાથે ફરી કનેક્ટ થવાની તક પણ મળશે. આથી ફેસબુકને ફરી પહેલાં જેવું બનાવવામાં આવશે.