Govt Plans PSF Use for Pulses Purchase: કેટલાક કઠોળના ભાવ ખુલ્લા બજારમાં લઘુત્તમ ટેકાના ભાવથી ઊંચે ચાલી જતા કેન્દ્ર સરકાર ખેડૂતો પાસેથી બજાર ભાવે માલ ખરીદવા વિચારી રહી છે. આ ખરીદી કરવા સરકાર પ્રાઈસ સ્ટેબિલાઈઝેશન ફન્ડ (પીએસએફ)નો ઉપયોગ કરવા ધારે છે. ઊંચા ભાવને કારણે ખેડૂતો ટેકાના ભાવે માલ વેચવાનું ટાળી રહ્યાનો દાવો કરાઈ રહ્યો છે.
બજાર ભાવ ઊંચા પ્રવર્તતા હોવાથી સરકારી એજન્સીઓ માટે ટેકાના ભાવે કઠોળની ખરીદી કરવાનું મુશકેલ બની ગયું હોવાનું કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.
સરકારી ગોદામોમાં કઠોળના સ્ટોકસ ઘટી રહ્યા છે અને આવનારા દિવસોમાં બફર સ્ટોકસથી પણ નીચે સરકી જવાની શકયતા નકારાતી નથી.
ચણાના બજાર ભાવ ટેકાના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૫૬૫૦ની ઉપર બોલાઈ રહ્યા છે, ત્યારે તેની ખરીદી કરવા પીએસએફ કરવા વિચારાઈ રહ્યું છે.
નાણાં વર્ષ ૨૦૧૫માં પીએસએફની રચના કરવામાં આવી છે જેનો ઉપયોગ કઠોળ તથા ડુંગળીનો બફર સ્ટોક જાળવી ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે થાય છે.
વર્તમાન નાણાં વર્ષ માટે પીએસએફ માટે રૂપિયા ૪૦૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તુવેર, મગ, અડદ તથા ચણા જેવા કઠોળના ભાવમાં ઉછાળાની સ્થિતિમાં આ ફન્ડનો ઉપયોગ કરી ભાવમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ચણા માટે બફર સ્ટોકનું ધોરણ દસ લાખ ટન નિશ્ચિત કરાયું છે પરંતુ સરકાર પાસે હાલમાં માત્ર ૩૧૦૦૦ ટનનો સ્ટોક હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.