28 new passenger vehicles: ૨૦૨૫ના વર્ષ દરમિયાન ૨૮ નવા વાહનો લોન્ચ થવા જઈ રહ્યા છે, જેમાંથી ૧૮ ઇલેક્ટ્રિક હશે. છેલ્લા બે વર્ષમાં દર વર્ષે લોન્ચ થતા ૪-૫ ઈલેક્ટ્રિક વ્હીકલ મોડલમાંથી આ ઘણો મોટો ઉછાળો છે. વધુમાં, આ આંકડો અનુક્રમે ૨૦૨૩ અને ૨૦૨૪માં લોન્ચ થયેલા ૧૧ અને ૧૫ નવા વાહનો (ઇવી અને ઇન્ટરનલ કમ્બશન એન્જિન બંને)ની સંખ્યાને વટાવી જશે.
વિશ્લેષકોનો અંદાજ છે કે ઓટો સેક્ટરની વૃદ્ધિનું મુખ્ય કારણ શૂન્ય-ઉત્સર્જન વાહનોમાં વધારો હશે. આ વાહનો આ વર્ષે પેસેન્જર વ્હીકલ્સ માર્કેટમાં કુલ વેચાણનો અડધો હિસ્સો બનાવશે, જેમાં ૨,૦૦,૦૦૦ યુનિટનો ઉમેરો થશે.
ઓટો નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે આટલા બધા ઈલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ થવાને કારણે તેમાં ગ્રાહકોનો રસ વધી શકે છે. જેના પગલે ઈલેક્ટ્રિક વ્હીકલ પેનિટ્રેશન ૨% થી વધીને ૪% થઈ શકે છે. હાલ તમામ ઉત્પાદકો ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોના બજારને વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
ગ્રાહકોની ચિંતાઓને દૂર કરવા અને વધુ ઈલેક્ટ્રિક વ્હીકલની ખરીદી થાય તે માટે, મારુતિ સુઝુકી આગામી નાણાકીય વર્ષમાં તેની પ્રથમ ઈલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ થાય તે પહેલાં ટોચના ૧૦૦ શહેરોમાં દર ૫-૧૦ કિમીના અંતરે ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશનો ઇન્સ્ટોલ કરવાનું આયોજન કરી રહી છે. ભારતીય બજારના કદને ધ્યાનમાં રાખીને જોઈએ તો ઈલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં આગામી સમયમાં મોટો વધારો થશે. સરકારના ૫%ના નીચા જીએસટી દર અને ઘણા ઓઈએમ દ્વારા નવા ઉત્પાદનોની રજૂઆત જેવા પ્રયાસો મુખ્ય ભૂમિકા ભજવશે.
અહેવાલ મુજબ, ભારતનું ઈલેક્ટ્રિક વ્હીકલ બજાર ૨૦૩૦ સુધીમાં ૯,૩૨,૦૦૦ એકમો સુધી પહોંચવા માટે ૪૩% ના ચક્રવૃદ્ધિ વાષક વૃદ્ધિ દરથી વધવાની અપેક્ષા છે. તેમાંથી ૬૧% માંગ ઈલેક્ટ્રિક એસયુવીની રહેશે. ૨૦૨૪માં ઈવીનું વેચાણ માત્ર ૧,૦૭,૦૦૦ યુનિટ હતું, જેની સરખામણીમાં દેશભરમાં લગભગ ૪૩ લાખ કાર (સેડાન અને એસયુવી સહિત) વેચાઈ હતી.