IndusInd Bank Share News: મંગળવાર શેર માર્કેટ માટે અમંગળ સાબિત થયો છે. એક તરફ અમેરિકાના શેર માર્કેટમાં નુકસાનની ભારે અસરના કારણે અનેક કંપનીના શેર તૂટયા છે જ્યારે બીજી તરફ ઇન્ડસઇન્ડ બૅન્કમાં ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં ગરબડના કારણે તેના શેર 25 ટકા તૂટ્યા છે.
ઇન્ડસઇન્ડ બૅન્ક દ્વારા શેર બજારને જાણકારી આપવામાં આવી છે કે, ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં હિસાબમાં ગોટાળો જોવા મળ્યો છે. જેના કારણે નેટવર્થ પર 2.35 ટકા નેગેટિવ અસર પડી શકે છે. ગરબડ અંગે તપાસ માટે એક એજન્સીની નિયુક્તિ પણ કરવામાં આવી છે. બૅન્કનો દાવો છે કે તે નેટવર્થ પર પડનારી અસર પર સામે લડવા સક્ષમ છે. એક દાવા અનુસાર બૅન્કમાં આ ગરબડના કારણે નફામાં કુલ 1500 કરોડ રૂપિયાની અસર પડી શકે છે.
ઇન્ડસઇન્ડના આ ગોટાળાની જાહેરાત સાથે જ આજે શેર 90 રૂપિયા ઘટાડે ખૂલ્યા બાદ 25 ટકા (228 રૂપિયા) તૂટ્યો હતો. 12.13 વાગ્યે ઇન્ડસઇન્ડનો શેર 24.72 ટકા ઘટાડે 678 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે ગઈકાલે 900.60 પર બંધ રહ્યો હતો.
ઇન્ડસઇન્ડ બૅન્કના ડેપ્યુટી સીઈઓ અરુણ ખુરાનાએ જણાવ્યું હતું કે, ‘આંતરિક સમીક્ષામાં જાણવા મળ્યું હતુ કે, આંતરિક ડેરિવેટિવ ટ્રેડિંગમાં આરબીઆઇ દ્વારા એપ્રિલ, 2024માં લાગુ કરવામાં આવેલા નિયમોનું અનુપાલન થયુ નથી. જેના લીધે ડેરિવેટિવ એકાઉન્ટમાં ગરબડ થઈ છે. જો કે, આ એકાઉન્ટ ગ્રાહકોના એકાઉન્ટ સાથે જોડાયેલા નથી. આ ગરબડ સપ્ટેમ્બર-ઑક્ટોબરની ડેરિવેટિવ્ઝ બુકમાંથી મળી આવી હતી.’