Nayanthara: દક્ષિણ ભારતીય સિનેમાની લોકપ્રિય અભિનેત્રી નયનતારાને સાઉથની ‘લેડી સુપરસ્ટાર’ પણ કહેવામાં આવે છે. હવે અભિનેત્રીએ આ ટાઈટલ વિશે વાત કરી અને તેના ચાહકોને સલાહ આપી છે કે ‘મને લેડી સુપરસ્ટાર ન કહે.’ નયનતારાએ કહ્યું કે, ‘સિદ્ધિઓ અને સન્માન અમૂલ્ય છે, પરંતુ તે કેટલીકવાર એવી છબી બનાવે છે જે કલાકારોને તેમના કામથી વિચલિત કરે છે.’ નયનતારાએ તેને આપવામાં આવેલા લેડી સુપરસ્ટારના બિરુદને છોડવાની જાહેરાત કરી છે.
શ્રી રામ રાજ્યમ, અનામિકા, ચંદ્રમુખી, ગજની અને જવાન જેવી ફિલ્મો માટે જાણીતી નયનતારાએ ચાહકો, ફિલ્મ જગતના લોકો અને મીડિયા માટે એક નિવેદનમાં જાહેરાત કરી હતી. નિવેદનમાં તેણે લખ્યું કે, ‘તમારામાંથી ઘણાએ મને લેડી સુપરસ્ટાર કહી છે. તમારા અપાર પ્રેમને કારણે મને આ બિરુદ મળ્યું છે. મને આવા મૂલ્યવાન ખિતાબથી સન્માનિત કરવા બદલ હું આપ સૌની ખૂબ ખૂબ આભારી છું. જોકે હું તમને બધાને નમ્ર વિનંતી કરુ છું કે મને નયનતારા કહીને બોલાવશો. આ એટલા માટે છે કારણ કે મને લાગે છે કે આ નામ મારા દિલની સૌથી નજીક છે. તે દર્શાવે છે કે હું માત્ર એક કલાકાર તરીકે જ નહીં પણ એક વ્યક્તિ તરીકે કોણ છું. ઉપાધિઓ અને પ્રશંસાઓ અમૂલ્ય છે પરંતુ તે કેટલીકવાર એવી છબી બનાવી શકે છે જે અમને અમારા કાર્ય, અમારી કલા અને પ્રેક્ષકો સાથેના અમારા બિનશરતી બંધનથી અલગ કરી દે છે.’
નયનતારાએ કહ્યું હતું કે, ‘પ્રેમની ભાષા દરેક સીમાઓ પાર કરીને લોકોને જોડે છે. જો કે આપણે બધા ભવિષ્યને જાણતા નથી. હું ખૂબ જ ખુશ છું કે તમારું અતૂટ સમર્થન જોડાયેલું રહેશે અને તમારું મનોરંજન કરવાની મારી મહેનત પણ ચાલુ રહેશે. સિનેમા જ આપણને એક કરે છે અને આપણે તેની સાથે મળીને ઉજવણી કરતા રહેવું જોઈએ. પ્રેમ, આદર અને સન્માન સાથે નયનતારા.’ અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘નયનતારા હંમેશા નયનતારા અને માત્ર નયનતારા જ રહેશે.’