Accident In Gandhinagar: ગાંધીનગરના દહેગામમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. ઉમિયા માતા મંદિર નજીક કારે એસટી બસ અને અન્ય એક ટક્કર મારી હતી. જેમાં કારમાં સવાર વડોદરાનાં દંપતીનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બસમાં સવાર મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ત્યારે કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો. અકસ્માત અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુરૂવારે દહેગામના નહેરુ ચોકડી નજીક મોપેડ ઉપર પસાર થઈ રહેલા માતા પુત્રીને પુરઝડપે જઈ રહેલા ટ્રકે હડફેટે લીધા હતા. જે અકસ્માતની ઘટનામાં માતાનું મોત થયું હતું. આ ઘટના અંગે દહેગામ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્ષ પાસે કાર ચાલક નબીરાએ એક ભયાનક અકસ્માત સર્જ્યો હતો. કાર ચાલકે એકસાથે ત્રણ ટુ વ્હીલર સવારોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું, જ્યારે કિશોરી સહિત 7ને ઈજા પહોંચી છે. આ ઘટના બાદ અકસ્માત સર્જનાર કાર ચાલકને લોકટોળાએ ઝડપી પાડી બરાબરનો મેથીપાક ચખાડયાં બાદ પોલીસને સોંપ્યો હતો.