Ahmedabad Traffic Police: શહેરમાં કેટલાંક વાલીઓ બેદરકારી દાખવીને બાળકોને વાહન ચલાવવામાં આપતા હોવાથી અનેક ગંભીર અકસ્માત સર્જાય છે. ત્યારે અમદાવાદમાં આવેલી વિવિધ સ્કૂલમાં મોટાપ્રમાણમાં વિદ્યાર્થીઓ લાયસન્સ ન હોવા છતાંય, ટુ વ્હીલર લઈને આવતા હોય છે. જે અનુસંધાનમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલમાં વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે અને બાળકોને વાહન આપનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
સગીર વાહનચાલકો અનેક અકસ્માત સર્જ્યા
શહેરના સરદારનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક 15 વર્ષની સગીરાએ સોસાયટીના ગેટ પાસે કારને પુરઝડપે હંકારીને સોસાયટીમાં જ રહેતા એક વ્યક્તિને ટક્કર મારતા તેનું મોત નિપજ્યાંની ઘટના બની હતી. અમદાવાદમાં આ ઉપરાંત, સગીર દ્વારા ટુ વ્હીલર ચલાવીને અકસ્માતના અનેક કિસ્સા સામે આવ્યા છે. આ બનાવના આકડા જોઈએ તો વર્ષ 2023માં સગીર વાહનચાલક દ્વારા અકસ્માત કરવાના 23 ગુના, વર્ષ 2024માં 25 ગુના તેમજ ચાલુ વર્ષ અત્યાર સુધીમાં 5 ગુના નોંધવામાં આવ્યા છે.
આ અંગે અમદાવાદ ટ્રાફિક વિભાગના જોઈન્ટ પોલીસ કમિશનર એન એન ચૌધરીએ જણાવ્યું કે, ‘સગીરોના તેમના માતા પિતા કે વાલી ટુ વ્હીલર ન આપે. જેને લઈને ટ્રાફિક વિભાગ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવાથી લઈને ટ્રાફિક અવેરનેશના અનેક કાર્યક્રમ યોજવામાં આવે છે. જો કે, શાળામાં આવતા અનેક વિદ્યાર્થીઓ ટુ વ્હીલર લઇને આવતા હોવાની વાત ગંભીર છે. જેથી આગામી સમયમાં પોલીસ હવે સ્કૂલમાં ટુ વ્હીલર લઈને આવતા વિદ્યાર્થીઓની વિગતો મેળવીને તેમને ટુ વ્હીલર આપનાર વિરૂદ્ધ કાર્યવાહી કરાશે. આમ, પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોના કડક અમલ કરાવાશે.’