Cyber Attack On Indian Air Force Plane: ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં થોડા દિવસ પહેલા વિનાશક ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 3,800થી વધુ લોકોના મોત થયા છે, આ ઉપરાંત હજારો લોકો બેઘર થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મ્યાનમાર સુધી રાહત સામગ્રી પહોંચાડવા માટે ભારત સરકારે ઓપરેશન બ્રહ્મા શરુ કર્યું છે. આ ઓપરેશન હેઠળ ભારતીય વાયુ સેના(IAF)ના વિમાનો મ્યાનમાર પહોંચી રહ્યા છે. એવામાં મ્યાનમાર માટે રાહત સામગ્રી લઈને જઈ રહેલા IAFના એક વિમાન પર સાયબર અટેક કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ હુમલો ત્યારે થયો જ્યારે વિમાન રાહત સામગ્રી લઈને મ્યાનમાર જઈ રહ્યું હતું. જોકે, વાયુસેનાના બહાદુર સૈનિકો પર આની કોઈ અસર ન થઈ અને તેમણે સમજદારીપૂર્વક રસ્તો શોધી કાઢ્યો અને યાત્રા પૂર્ણ કરી.
એક અહેવાલ પ્રમાણે પોતાના સેટેલાઈટ આધારિત GPS સિગ્નલોમાં સ્પૂફિંગના રૂપમાં ભારતીય વાયુસેનાના એક વિમાનને સાયબર હુમલાનો સામનો કરવો પડ્યો છે. અખબારે સૂત્રોનો હવાલો આપતા જણાવ્યું કે, મ્યાનમારના હવાઈ ક્ષેત્રમાં GPS સ્પૂફિંગ કોણે કર્યું છે તે શોધવું મુશ્કેલ સાબિત થઈ શકે છે. ખાસ વાત એ છે કે ચીને અહીં મોટી વ્યૂહાત્મક ઘૂસણખોરી કરી લીધી છે.
શું છે GPS સ્પૂફિંગ?
એક સૂત્રએ જણાવ્યું કે, ‘GPS સ્પૂફિંગ સામાન્ય રીતે પાયલટને ખોટા કોઓર્ડિનેટ્સ આપીને તેને લોકેશન અંગે ગેરમાર્ગે દોરે છે. આ ઓપરેશનલ વિસ્તારમાં સામાન્ય છે. મ્યાનમારમાં IAFના પાયલટે પોતાનું મિશન પુરુ કરવા માટે INS એટલે કે ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમની મદદ લીધી.’
ઓપરેશન બ્રહ્મા
ભારતે 28 માર્ચે મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા ભૂકંપથી થયેલી તબાહી બાદ ભારતે તાત્કાલિક પગલાં તરીકે પોતાનું રાહત મિશન ‘ઓપરેશન બ્રહ્મા’ શરૂ કર્યું હતું. આ ઓપરેશનના ભાગ રૂપે ભારતીય સેના આપત્તિમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર પૂરી પાડવા માટે 60 બેડનું તબીબી સારવાર કેન્દ્ર સ્થાપિત કરશે. આ સુવિધા ઈજાના કેસો, ઈમરજન્સી સર્જરી અને આવશ્યક તબીબી સેવાઓને સંભાળવામાં સક્ષમ હશે, જે સ્થાનિક આરોગ્ય સેવા પ્રણાલીને મદદ કરશે, જે આપત્તિથી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ભારતે મ્યાનમારમાં 15 ટન રાહત સામગ્રી પહોંચાડી દીધી છે.