Gautam Gambhir death threat: ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ભાજપના ભૂતપૂર્વ સાંસદ ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી બાદ, ગંભીરે બુધવારે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનના SHO અને સેન્ટ્રલ દિલ્હીના DCP ના જણાવ્યા અનુસાર, ગંભીરે ઔપચારિક રીતે FIR નોંધવાની વિનંતી કરી હતી.
22 એપ્રિલે ગંભીરને બે ધમકીભર્યા ઈમેલ મળ્યા
રિપોર્ટ અનુસાર, ગંભીરને 22 એપ્રિલના રોજ બે ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા. એક ઈમેલ બપોરે અને બીજો સાંજે આવ્યો હતો. બંને પર ‘આઈ કીલ યુ’ મેસેજ લખેલો હતો. આ પહેલી વાર નથી જ્યારે ગંભીરને આવી ધમકીઓનો સામનો કરવો પડ્યો હોય. નવેમ્બર 2021 માં સાંસદ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પણ આવો જ ઈમેલ મળ્યો હતો.
ગંભીરને મળેલી ધમકીઓ અંગે દિલ્હી પોલીસનું નિવેદન
ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી બાબતે દિલ્હી પોલીસે કહ્યું કે, ‘અમને એક ઈમેલ વિષે માહિતી મળી છે , જેમાં ગૌતમ ગંભીરને ધમકી આપવામાં આવી છે. અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. ગંભીર પહેલાથી જ દિલ્હી પોલીસની સુરક્ષામાં છે. અમે તેમની સુરક્ષા સંબંધિત ચોક્કસ માહિતી જાહેર કરી શકતા નથી.’
ગંભીરે પહલગામ હુમલાની કરી હતી નિંદા
ગૌતમ ગંભીરે મંગળવારે X પર પહલગામ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી. ગંભીરે X પર લખ્યું હતું – ‘માર્યા ગયેલા લોકોના પરિવારો માટે પ્રાર્થના. આ માટે જવાબદાર લોકોને તેની કિંમત ચૂકવવી પડશે. ભારત જવાબ આપશે.’
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આ હુમલામાં 28 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે આતંકવાદીઓએ બૈસરન ઘાટીમાં પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો 2019 ના પુલવામા હુમલા પછીનો સૌથી ભયાનક માનવામાં આવી રહ્યો છે.