Sourav Ganguly On Pahalgam Terror Attack: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને પૂર્વ BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ શુક્રવારે પહલગામ આતંકવાદી હુમલાને પગલે પાકિસ્તાન સાથેના ક્રિકેટ સંબંધો સંપૂર્ણપણે તોડી નાખવાનું આહવાન કર્યું છે. પહલગામ આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત થયા છે. સૌરવ ગાંગુલીએ વારંવાર થતા આતંકવાદી હુમલાના જવાબમાં કડક કાર્યવાહીની તાત્કાલિક જરૂરિયાતનો પણ હવાલો આપ્યો હતો.
કોલકાતામાં પત્રકારો સાથે વાત કરતા સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘100% આ થવું જોઈએ. કડક કાર્યવાહી જરૂરી છે. આ કોઈ મજાક નથી કે દર વર્ષે આવી ઘટનાઓ બનતી રહે. આતંકવાદને સાંખી ન લેવાય.’
ICC ઈવેન્ટમાં થાય છે આમનો-સામનો
તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને પાકિસ્તાનનો માત્ર ICC ઈવેન્ટમાં જ આમનો-સામનો થતો હતો, જેમ કે T20 અને 50 ઓવરના વર્લ્ડ કપ, ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા આયોજિત એશિયા કપ સ્પર્ધાઓ.
બંને દેશો વચ્ચે કોઈ સીરિઝ નથી યોજાઈ
નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન ક્રિકેટની સૌથી મોટી હરીફ હોવા છતાં વર્ષ 2012-13 પછી તેમની વચ્ચે કોઈપણ દ્વિપક્ષીય સીરિઝ નથી યોજાઈ. બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ રાજકીય સંબંધોને કારણે ભારતે 2008થી પાકિસ્તાનનો પ્રવાસ નથી કર્યો.
હાઈબ્રિડ મોડલ પર થઈ ચેમ્પિયન્સ ટ્રોફી
તાજેતરમાં યોજાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઈનકાર કરી દીધો હતો અને તેના બદલે હાઈબ્રિડ મોડેલ હેઠળ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેના કારણે ભારતની તમામ મેચો દુબઈમાં રમાઈ હતી.